હવામાન વિભાગની આગાહીને આધારે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત સહિતના જિલ્લાઓની વર્તમાન વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ

હવામાન વિભાગની આગાહીને આધારે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત સહિતના જિલ્લાઓની વર્તમાન વરસાદી પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી અને મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ સુરતથી જોડાયા: સુરત શહેર-જિલ્લાના વરસાદી માહોલ તેમજ તે અંગે આગમચેતીના ભાગરૂપે લેવાયેલા પગલાં અંગે જાણકારી આપી -------- માનવ અને પશુધનની સુરક્ષાને પ્રાથમિકતા આપી જિલ્લા વહીવટી તંત્રને સમયસૂચકતા સાથે આવશ્યક તમામ પગલાં લેવાની સૂચના આપતા મુખ્યમંત્રી -------- વરસાદી માહોલમાં શહેરીજનોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરતાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી -------- સ્થાનિક મીડિયા અને વિવિધ સોશિયલ પ્લેટફોર્મ્સ થકી જાહેર જનતાને નદી કે દરિયા કિનારે, બ્રિજ ઉપર જવાનું ટાળવાનો અનુરોધ કરી સતત એલર્ટ કરાઇ રહ્યા છે: મ્યુ. શાલિની અગ્રવાલ --------- સુરત:માહિતી બ્યુરો: સુરત સહિત રાજ્યના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મુખ્ય સચિવશ્રી રાજકુમારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરથી વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો, મ્યુ. કમિશનરો તથા ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરતથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. શહેર-જિલ્લામાં વરસાદી માહોલ અને કોઈ પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની વિગતો આપી હતી. બેઠકમાં પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌત, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપીશ્રી હેતલ પટેલ તેમજ ડિઝાસ્ટર વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર સુરત જિલ્લામાં તા.૨૩થી તા.૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ૭૨૨.૫ મીમી વરસાદ નોંધાયો હતો. તકેદારીના ભાગરૂપે છેલ્લા ૨૪ કલાકમાં અડાજણના ૪૨ લોકોને નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરી ૨૫૦ ફુડ પેકેટનું વિતરણ કરાયું છે. સાથે જ કલેક્ટરશ્રીએ જિલ્લામાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં થઈ હોવાની વિગતો આપી હતી. તેમજ તાલુકાઓમાં નોંધાયેલા વધુ વરસાદને કારણે ઓલપાડના ૧૫, બારડોલીના ૯, મહુવાના ૨, માંડવીના ૧૦, માંગરોળના ૧૩ સહિતના પંચાયત હસ્તકના કુલ ૪૯ રસ્તા બંધ હોવાનું કહ્યું હતું. તેમણે વરસાદી માહોલમાં શહેરીજનોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. સુરત જિલ્લામાં ઉકાઈ ડેમમાંથી હાલમાં કુલ ૨.૪૭ લાખ કયુસેક પાણી છોડાયું હોવાની માહિતી આપી કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, ઓલપાડ તાલુકામાં કીમ નદી એલર્ટ લેવલે વહેતી હોય ૮ ગામોના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી સતત મોનિટરીંગ કરાઈ રહ્યું છે. અને જરૂર પડે અસરગ્રસ્ત લોકોની સ્થળાંતરની પણ તૈયારી છે, પરંતુ હાલ સુરતમાં સામાન્ય સ્થિતિમાં હોવાનું જણાવીએ સુરત જિલ્લામાં હાલ ૧ NDRF ટીમ(ઓલપાડ) અને ૨ SDRF ટીમ(વાવ-કામરેજ અને માંડવી) મૂકવામાં આવી હોવાની જાણકારી આપી હતી. આ બેઠકમાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે શહેરની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવ્યું કે, ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે શહેરના સેન્ટ્રલ, કતારગામ અને રાંદેર ઝોન મળી કુલ ૩ અસરગ્રસ્ત ઝોનમાં હાલમાં તાકીદે કામગીરી શરુ કરાઈ છે. જેમાં કુલ ૧૫૨ લોકોનું સ્થળાંતર કરાયું છે. તેમજ કુલ એક હજાર જેટલા ફૂડ પેકેટસ પહોંચાડયા છે. પરિસ્થિતિને ધ્યાને લઈ સેન્ટ્રલ ફ્લડ કંટ્રોલ રૂમ ખાતેથી અને ICCC- ઇમર્જન્સી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મનપાની ટીમ ફિલ્ડમાં કાર્યરત ટીમો સાથે સતત સંકલન સાધી કામગીરી કરી રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે, સ્થાનિક મીડિયા અને વિવિધ સોશિયલ પ્લેટ્ફોર્મ થકી જાહેર જનતાને નદી કે દરિયાકિનારે, બ્રિજ ઉપર જવાનું ટાળવાનો અનુરોધ કરી સતત એલર્ટ કરાઈ રહ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ ટાળી શકાય. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે દરેક જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને માનવ અને પશુધનની સુરક્ષાને પ્રાથમિકતા આપી જિલ્લા વહીવટીતંત્રને સમયસૂચકતા સાથે આવશ્યક તમામ પગલાં લેવાનું સૂચન કર્યું હતું. સાથે જ મુખ્ય સચિવ દ્વારા આગાહીને અનુલક્ષીને કોઝ-વે કે રોડ ઓવર ટોપીંગ હોય તે અંગેની સૂચનાઓ પ્રસારિત કરી ચેતવણી અંગેના બોર્ડ લગાવી બેરિકેડ રાખી ત્યાં રાઉન્ડ ધી કલોક પોલીસ બંદોબસ્ત રાખવા જણાવ્યું હતું. તેમણે ઈમરજન્સી સેવા કે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી સાથે સંકળાયેલા લોકો ફરજ પર હાજર રહે અને હેડકવાર્ટર ન છોડે તેની તકેદારી રાખવા તાકીદ કરી હતી. વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેવા વિસ્તારને આઇડેન્ટિફાય કરી તેના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાનું આયોજન કરવા ટકોર કરી હતી. હવામાન વિભાગની ચેતવણીઓ તમામ લોકો સુધી પહોંચે તે રીતે પ્રસારિત કરવા, ચાલુ સિઝનમાં થયેલી નુકસાની સંદર્ભે શહેરી વિસ્તારમાં કેશ ડોલ્સ અને અન્ય ચૂકવણું કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. #RainfallinGujarat #BeCarefulGuj

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ