સુરતના લેખક, કવિ જગદીશ પટેલ ‘નારકર’ના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્રસ્થાને

 ગુજરાતી સાહિત્યની ખેડમાં બે અપૂર્વ પ્રયોગ પ્રદાન: ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’


---------

સુરતના લેખક, કવિ જગદીશ પટેલ ‘નારકર’ના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્રસ્થાને

----------

કાનામાત્રા રહિત અનોખા કાવ્યોના સર્જક સુરતના જગદીશભાઈ પટેલ ‘નારકર’ તેમના અનોખા ભાષાપ્રયોગ માટે જાણીતા બન્યા છે. પરંપરાગત કાવ્યસર્જન ન કરતા તેમણે ચીલો ચાતરીને કાનામાત્રા વિનાના તેમજ માત્ર ‘પ’ વર્ણાનુપ્રાસી ગઝલ- કાવ્યોનું સર્જન કર્યું છે. જેના કાવ્યસંગ્રહો ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ અને ‘પૂરવાઈ’ નામથી પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે.


           જગદીશભાઈના કાવ્યોમાં પરમ તત્વની આરાધના અને આધ્યાત્મિક ચિંતન કેન્દ્ર સ્થાને છે તેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં ધર્મ આત્મા મુક્તિ માનવતા સદાચાર જેવા સંવેદનશીલ અને માનવીય ભાવોનું અભિ નિરૂપણ થયું છે તેમાં સ્વરોને બાદ કરતાં કાના માત્રા રહિત વર્ણોયુક્ત શબ્દો પ્રયોજાયા છે. અગાઉ ચારણ કવિઓ આવી કૃતિઓ રચતા હતા, આ કઠિન કાવ્યપ્રકાર તેમણે આત્મસાત કર્યો છે. જગદીશભાઈના ‘અઉમ સદ્દ અક્ષર નમ:’ કાવ્યસંગ્રહની ઇબારત જુઓ:-

૧) ‘અઉમ તન ભવન પર પરગટ હઈ; વચન રસ શબદ થઈ ફરકત હઈ’ 

૨) તજ અહમ સુખ દુ:ખ સમ સમજ, તવ મળત હર;

ચઉદ રતન દઈ ચક્રધર વિષ ગલ ધરત હર. 

૩) ચંદ સમય વટ ન કર, અંતર પર પટ ન કર

અગર ચહત સઉરભ, અણહક્ક ઝપટ ન કર 


એવી રીતે પૂરવાઈ કાવ્ય સંગ્રહની કવિ કર્મની પિછાણ જુઓ;

પિયુ પશ્ચિમમાં, પલે પ્યાર પૂરબના પરગણે પછી; 

પ્રતિદિન પોમાતી પ્રતિક્ષા, પીડા પામીને પ્રજળે પછી.

પહેલાં પહેલાં પાંપણના પલકારામાં પ્રચુરપણે; 

પૂર્તિ, પ્રેમની પામી, પચરંગી પળ પ્રતિબિંબશે પછી.

    

               વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા મૂળ આણંદ જિલ્લાના નાર ગામના વતની શ્રી જગદીશ આર.પટેલ ‘નારકર’એ ગુજરાતી કાવ્ય ક્ષેત્રમાં બે અપૂર્વ પ્રયોગ કર્યા છે, જેમાં એક પ્રયોગ કાનામાત્રા રહિતના અધ્યાત્મ રંગ્યા કાવ્યનો છે. જગદીશભાઈ છેલ્લા ૫૦ વર્ષોથી સાહિત્ય ક્ષેત્રમાં કાર્યરત છે, અત્યાર સુધીમાં દસ નવલકથાઓ, એક વાર્તાસંગ્રહ એક લઘુનવલનું સર્જન તેમજ આસ્વાદમૂલક વિવેચન, પ્રવાસકથા, ગઝલસંગ્રહ, ગુરૂગમ ભજન કાવ્યો, અધ્યાત્મ પત્રોનું સંપાદન કર્યું છે. મુંબઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલનું જીવન ચરિત્ર અને અધ્યાત્મ વિષયક તેમના ગુરૂ પ.પૂ.દેવજીબાપાનું જીવનચરિત્ર આલેખ્યું છે. તેમણે સંદેશ દૈનિકમાં ‘સુરતની ગઈકાલ આજના આઈનામાં’ અને નવગુજરાત ટાઈમ્સમાં ‘સલામ સુરત’ તેમજ પ્રતાપ પ્રતિનિધિ નવનિર્માણ જેવા પત્રોમાં કોલમ લખી છે.


            તેમણે લખેલા પૂરવાઈ કાવ્યસંગ્રહમાં માત્ર ‘પ’ વર્ણાનુપ્રાસી ગઝલ- કાવ્યો સર્જ્યા છે, જેમાં ચારણી સાહિત્યનું પ્રતિબિંબ જોવા મળે છે. આ કાવ્યોની માવજત મધ્યકાલીન ચારણી ઈબારતને સ્પર્શે છે. ખાસ કરીને વર્ણાનુપ્રાસમાં બે પંક્તિઓ લખવી એ કઠિન હોય છે, જ્યારે આ કવિએ એક પંક્તિ જ નહીં, પણ ‘પ’ વર્ણ અનુપ્રાસવાળી કુલ ૫૩ કાવ્યકૃતિઓ લખી છે. તેમની કલમ સતત પ્રવૃત રહી છે. જેમ કે, 


‘પૂર્યું પંખી પરદેશી, પંચતત્વ પિંજરમાં,

પવન, પાણી, પ્રકાશ, પૂર્ણ ધ્યાનીઓ પહેચાને.’

            

             કાપડની ફેક્ટરીમાં કામ કરતા કરતા અનાયાસે ૨૦ વર્ષની ઉંમરે કોઈ પણ અનુભવ વગર ઈ.સ. ૧૯૭૫માં ‘નારકર'ના તખ્ખલુસથી ઓળખાતા શ્રી જગદીશ આર. પટેલે ‘સુયોગ એક વિયોગનો' નવલકથા લખી. માત્ર ૧૧ ચોપડી ભણેલા જગદીશભાઈને પહેલાથી વાંચન અને લેખનનો શોખ હતો. પરંતુ ઘરની પરિસ્થિતિને કારણે તેમને નોકરી કરવી પડી હતી. જગદીશ પટેલ ‘નારકર’ જણાવે છે કે, લેખનનો શોખ અને ભાષા પ્રત્યે પ્રેમ મને નાનપણથી જ હતો. વાંચનથી મન અને તન બંન્ને ઉર્જાવાન અને પ્રસન્ન રહે છે. જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવા અને જ્ઞાનવર્ધન માટે વાંચન અને પુસ્તકોનો સંગ કરવો જરૂરી છે.


              ૭૩ વર્ષીય જગદીશભાઈએ બાળકો અને યુવાનોમાં વાંચનની અભિરૂચિ જગાવવા માટે પોતાની બચતમાંથી પોતે લખેલા પુસ્તકો શાળાના બાળકો, લાયબ્રેરી અને વાંચન પ્રેમી યુવાનોને આપ્યા છે. 

              તેમણે વધુમાં જણાવ્યું કે, અયોધ્યામાં ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી સાકાર થયેલા ભવ્ય શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં સહભાગી થયેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની રામભક્તિને બિરદાવતા જગદીશભાઈએ કાનામાત્રા વગરની એક કાવ્યકૃતિ પણ લખી છે. આના આધારે ‘મોદીજી એક અધ્યાત્મપૂરૂષ’ નામક પુસ્તક લખવાનું પણ આયોજન કરી રહ્યા છે. 

               મોદીજી વિષે કાવ્યના બે ત્રણ બંધ જુઓ- 

ભરત ખંડ મધ્ય ગુજભૂમિ સ્થિત, વડનગર અવતરિત નરઇન્દ્ર; 

સૂર્યવંશી સિયપતિન કર્મ કરન, અનવરત રત રહત નરઇન્દ્ર, 

સરયુતટ જન્મભૂમિ મૂલધર્મમંદિર, કરન ચહત સતસંગી જનમન, 

ચલત સંઘર્ષ પંચ સદી પર્યંત સઉ સંગ રથ લઈ ફિરત નરઇન્દ્ર, 

નઈ ગૃહસ્થ, સંત ફકીર, નઈ વણજકર શિષ્ય ગુરૂ પણ સર્વપરિ, 

અલખ કરમ કરન જંપ નઈ અઈક્ય (એકતા)- અટલ પુલ સર્જક નરઇન્દ્ર (નરેન્દ્ર).

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ