વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી

 વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી


બેદરકારી છોડી, અઠવાડિયે એક વાર ઉજવો સઘન સફાઈ ડે: રોગચાળો રોકવા અપનાવો ૧૦x૧૦x૧૦નું સૂત્ર

મચ્છરજન્ય કેસ અટકાયતી કામગીરીમાં યોગદાન આપીએ.. સાફસફાઈની કામગીરીને આદત તરીકે કેળવીએ..

હાલ ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય, વાહકજન્ય બીમારીઓ ફેલાવાનો ભય સૌથી વધુ રહે છે, ત્યારે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન જેવા પગલાંઓ થકી જનઆરોગ્ય અર્થે સતત પ્રયાસશીલ છે. નાગરિકોની પણ નૈતિક જવાબદારી છે કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા ચેપી રોગોને નિયંત્રણમાં લેવા માટે મદદરૂપ બને.

               ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગ ચેપી માદા એડીસ ઈજિપ્તિ મચ્છરના કરડવાથી થાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. આ વાયરસ વ્યક્તિમાં ૫થી ૭ દિવસ રહે છે. વધુ જનસમુદાય હોય તેવા સ્‍થળોએ આવો રોગ ફેલાવાનું જોખમ વધુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ચેપી રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે વાહકજન્ય બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે મચ્છર ઉત્પતિની પ્રક્રિયા અને તેના અટકાયતી પગલાં વિશે જાણવું જરૂરી છે. 


મચ્છરની ઉત્પતિ કેવી રીતે થાય છે?

. . . . . . . . . . . . . . . . . . . .

        મચ્છર બંધિયાર ચોખ્ખા પાણીમાં ઇંડા મુકે છે. ઇંડામાંથી ૨-૩ દિવસમાં પોરા જોવા મળે છે. પોરામાંથી ૨-૩ દિવસમાં કોસેટો બની ત્યારબાદ ૨-૩ દિવસમાં મચ્છર બને છે. ઇંડામાંથી મચ્છર થતા ૭ દિવસ લાગે છે. આથી, દર અઠવાડિયે બંધિયાર પાણી ખાલી કરવામાં આવે તો મચ્છર ઉત્પતિ અટકી શકે.

           હોસ્પિટલો, શાળાઓ, કોલેજો, છાત્રાલયો, શાક માર્કેટ, ધાર્મિક-સામાજીક સંસ્થાઓ, જી.આઇ.ડી.સી., ફેક્ટરી કેમ્પસના બિલ્ડીંગોમાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહેતી હોવાથી ક્યાંય પાણી ના ભરાય અને વ્યવસ્થિત સફાઇ થાય તે બાબતે માલિકો/સંચાલકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 


બેદરકારી છોડો, મચ્છરજન્ય રોગોથી બચવા આટલું જરૂર કરો

. . . . . . . . . . . . . . . . . . . .

 ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરોના ડંખથી બચવા આખી બાંયનાં કપડાં પહેરવાં તથા શરીરના ખુલ્લા ભાગ પર મચ્છરવિરોધી ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

 દર અઠવાડિયે ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહનાં તમામ પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સૂકવવા અને ત્યારબાદ જ ઉપયોગમાં લેવા જોઈએ.

 ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.

 બારી બારણામાં મચ્છરજાળી લગાવવી જોઈએ.

 ઘર, ધાબા પર અને ઘરની આસપાસ પડી રહેલ નકામા ખાલી પાત્રો, ભંગાર, ટાયર, નાળિયેરની કાચલી વગેરેનો નાશ કરવો જોઈએ.

 પાણી સંગ્રહ કરવાના થતા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવાં જોઈએ.

 સખત તાવ, આંખોના ડોળાની પાછળ દુ:ખાવો, સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો અને શરીર પર ચકામા કે ઓરી જેવા દાણા દેખાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.

 તાવ દરમિયાન પુષ્કળ પ્રવાહી લેવું અને આરામ કરવો જોઈએ.


સાવચેતીરૂપે લેવાના પગલાંઓ

. . . . . . . . . . . . . . . . . . . .

 ઘર અને ઘરની આસપાસ ફૂલદાની, કુંડા, પક્ષીકુંજ તથા પાણી સંગ્રહનાં તમામ પાત્રોમાં પાણી ભરાઈ ના રહે તે જોવું જોઈએ.

 વરસાદી ઋતુ દરમિયાન નકામા પાત્રો જેવાં કે બોટલ, ટીન, ટાયર અને નાળિયેરની કાચલી, ભંગાર વગેરેને ખુલ્લામાં નાખવા નહીં.

 ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની થાય ત્યારે તબીબના માર્ગદર્શન વગર દવાઓ લેવી નહીં.

 એડીસ ઇજિપ્તિ મચ્છરથી ફેલાતા આ રોગથી બચવા ઘરમાં તથા ઘરની આસપાસ પાણીનો સંગ્રહ ટાળવો જોઈએ.

 ઘરની અંડર ગ્રાઉન્ડ, ઓવરહેડ ટાંકીના ઢાંકણા એરટાઈટ બંધ રાખવા જોઈએ.

 સમયાંતરે જંતુનાશક દવાઓનો છંટકાવ કરતા રહેવું જોઈએ.


સઘન સફાઈ ડે ઉજવીએ

. . . . . . . . . . . . . . . . . . . .

 દર રવિવારે (અઠવાડિયે એક વાર) નાગરિકોએ ઘરના ધાબા, ઘરની અંદર તથા ઘરની આસપાસ પાણી ભરેલા પાત્રોની સફાઈ કરવી જોઈએ. જેથી, મચ્છરના ઇંડા-પોરાનો નાશ થાય.

 નાગરિકોએ પોતાના ઘર, આસપાસના બંધ ઘરો, મહોલ્લા, સોસાયટી, ઓફિસના ધાબામાં કાટમાળમાં ભરાયેલા પાણી, ક્રીઝ/કુલરમાં ભરેલા પાણી, કોઠી, ટાંકી, ટાયર, કુંડા, પ્લાન્ટ, નકામા પ્લાસ્ટીક, માટી-સ્ટીલના વાસણોમાં ભરાયેલું પાણી અચૂક સાફ કરવું જોઈએ.


રોગચાળો રોકવા અપનાવો ૧૦x૧૦x૧૦નું સૂત્ર

. . . . . . . . . . . . . . . . . . . .

           રાજ્યના જાગૃત્ત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ તેમજ શાળાઓ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે ૧૦x૧૦x૧૦નું સૂત્રને અનુસરે છે. આ સૂત્રમાં પ્રથમ ૧૦ એટલે દર રવિવારે સવારે ૧૦ વાગ્યે ૧૦ મિનિટ ફાળવવી. બીજા ૧૦ એટલે ઘરમાં તથા તેની આસપાસના ૧૦ મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા અને બિન-ઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. તેમજ ત્રીજા ૧૦ એટલે આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુધી ૫હોંચાડવી. આમ, માત્ર ૧૦ મિનિટ આ૫ને અને આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકે છે. 

          જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળા થકી ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરાઈ રહ્યા છે. તેની સાથેસાથે આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. ત્યારે આપણે સૌ સુરત શહેર-જિલ્લાને સ્વચ્છ અને મચ્છરમુક્ત બનાવવા મચ્છરજન્ય કેસ અટકાયતી કામગીરીમાં યોગદાન જરૂર આપીએ.. સાફસફાઈની કામગીરીને આદત તરીકે કેળવવીએ.

Post courtesy: info Surat gog

Comments

Popular posts from this blog

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ